Bilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 03 December 2025

બહેજની નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અતુલ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી

 

ખેરગામ તાલુકાના બહેજ ગામની ભારતીય પ્રગતિ મંડળ સંચાલિત નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સોમવાર 1 ડિસેમ્બરના રોજ વોકેશનલ ટ્રેડ વિષય અંતર્ગત ધરમપુર–ઓઝરપાડા વિસ્તારમાં આવેલ અતુલ ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓનું રૂબરૂ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

અતુલ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અંગે સમજ આપવામાં આવી હતી તથા મશીનરીઓના કાર્યવિધી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

આ શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક શિક્ષણની પ્રાયોગિક સમજ મળતી હોવાથી તેઓમાં નવી દૃષ્ટિ વિકસિત થઈ હતી. નવજીવન માધ્યમિક શાળાના આચાર્ય સુનિતા ઢીમરે અતુલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

#બહેજ #ખેરગામ #નવજીવનમાધ્યમિકશાળા #અતુલઇન્સ્ટિટ્યુટ #વોકેશનલટ્રેડ #શૈક્ષણિકમુલાકાત #GujaratiNews #LocalNews

══════════════════

પાટીની ગીતા મંદિર હાઈસ્કૂલના લાભાર્થે 22મીથી રામકથા આરંભ

 

ખેરગામ તાલુકાના પાટી ગામની ગીતા મંદિર હાઈસ્કૂલના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથા ચીખલી ખાતે ઇટાલીયા હાઈસ્કૂલના મેદાનમાં 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી યોજાશે. આ ધાર્મિક કથાના મુખ્ય યજમાન તરીકે કામદાર નેતા આર.સી. પટેલ રહેશે. રામકથાનો સમય દરરોજ બપોરે 2.30થી 5.30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

રામકથાના આયોજન પૂર્વે ખેરગામ ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે થાનું અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામદાર નેતા આર.સી. પટેલ, વાલજીભાઈ સોલન્કી, આચાર્ય રાકેશ બી. પટેલ, કાંતિભાઈ પટેલ પાટી, બાબુભાઈ પટેલ, ડાહ્યાભાઈ ચૌધરી, દર્શનભાઈ અને ભગવાનભાઈ રાઠોડ ગણદેવા સહિતના આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

રામકથાની પોથીયાત્રા જલારામ નગરની સામે આવેલા ખૂંધ વાલજીભાઈ સોલન્કી સાહેબના નિવાસસ્થાનેથી નીકળશે. શાળાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ રામકથામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

#પાટી #ખેરગામ #ગીતામંદિરહાઈસ્કૂલ #રામકથા #પ્રફુલભાઈશુક્લ #ચીખલી #GujaratiNews #LocalNews

══════════════════

વિકસિત ગુજરાત @2047 અંતર્ગત ખેરગામ તાલુકામાં કલા પ્રતિભાનો ઉજ્જ્વળ અવસર, વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓનું તેજસ્વી પ્રદર્શન

 

વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ ખેરગામ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ બી.આર.સી. ભવન ખેરગામ ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો. આ કલા ઉત્સવમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

કાર્યક્રમમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી તથા કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધામાં વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિદ્ધિ હિતેશકુમાર પટેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સંગીત ગાયન સ્પર્ધામાં દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે સંગીત વાદન સ્પર્ધામાં પાટી પ્રાથમિક શાળાના સોહમભાઈ બિપીનભાઈ પટેલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષ પરમાર, બેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી ધર્મેશકુમાર પટેલ, પાટી શાળાના કેન્દ્ર શિક્ષક કિરીટભાઈ સોલંકી, શામળા ફળિયા સી.આર.સી. ટીનાબેન પટેલ, નિપુણ બીઆરપી નિમિષાબેન આહિર, આશિષભાઈ પટેલ, વૈશાલીબેન સોલંકી સહિતના શિક્ષકવર્ગની પ્રેરક હાજરી રહી હતી.

#ખેરગામ #વિકસિતગુજરાત2047 #કલાઉત્સવ #વિદ્યાર્થીપ્રતિભા #પ્રાથમિકશાળા #GujaratiNews #LocalNews

══════════════════

જાખાનામાં બે બાઈક સામસામે ભટકાતા બે યુવક ઘાયલ, એકની હાલત નાજુક

 

ડાંગ જિલ્લાના શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જાખાના ગામ નજીક મંગળવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શામગહાન તરફથી કોટમદર જઈ રહેલી એક બાઈક અને ગલકુંડના વાંકી તરફથી શામગહાન જઈ રહેલી બીજી બાઈક પુરપાટ વેગે સામસામે ભટકાતા અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં બન્ને બાઈકચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં દિપકભાઈ પ્રેમાકર ગવળી રહે. વાંકી ગલકુંડ અને લક્ષુભાઈ મોતિરામ દળવી રહે. કોટમદરનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

108ની ટીમે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની શામગહાન સીએચસીમાં ખસેડ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ બાઈકચાલક લક્ષુભાઈ દળવીની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક લોકો દ્વારા સતર્કતા દાખવી ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળે તે માટે મદદ કરવામાં આવી હતી.

#જાખાના #ડાંગ #રાષ્ટ્રીયધોરીમાર્ગ #બાઈકઅકસ્માત #શામગહાન #આહવા #108એમ્બ્યુલન્સ #GujaratiNews #LocalNews

══════════════════


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment